રાજયની ચૂંટણીઓમાં પક્ષ અને પ્રતિક હોય છે પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષનું આવું કોઇ પ્રતિક હોતું નથી. તેની પાછળ મહત્વના કારણો રહેલા છે. આર્ય સંસ્કૃતિની એ આગવી પરંપરા રહી છે, ગામનું મુળ અસ્તિત્વ, એનું અસલપણું, એના પ્રસંગો, રૂઢીઓ વગેરે જળવાઇ રહ્યાં છે. ગામની વિવિધ કોમો-જ્ઞાતિઓ વારતહેવારે થતાં ઉત્સવોમાં ભાગ લે છે અને કૌટુંમ્બિક ભાવના જળવાઇ રહે છે. એમની આ વિશિષ્ટતા છિન્નભિન્ન ન થાય એ માટે પંચાયત ધારો ઘડનારાઓએ આપણી આ પાયાની સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ચૂંટણીમાં પક્ષિય ધોરણ રાખ્યું નથી
દેશની માટી દેશના જળ, હવા દેશની દેશના ફળ,
સરસ બને, પ્રભુ સરસ બને.
દેશના ઘર અને દેશના ઘાટ, દેશના વન અને દેશની વાટ,
સરળ બને, પ્રભુ સરળ બને.
આપણી આ પાયાની સંસ્થાની ચૂંટણીમાં પક્ષિય ધોરણ રાખ્યું નથી. ગામડામાં વેરઝેર, કાવાદાવા, વૈમનસ્ય ઉભા ન થાય તેવી ભાવના ઉજાગર કરતી યોજના છે. ગ્રામવાસીઓ એકઠા મળી પોતાનામાંથી સર્વસંમતિથી ગ્રામ પંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નકકી કરે છે. જેમાં અનેક વ્યકિતઓ પોતાનો હક્ક જતો કરીને સમાજ માટે પ્રેરણારૂપ આચરણ કરી ગામનું ભલુ અને વિકાસ કરવાના ઉચ્ચ હેતુ માટે ઉમદા અભિગમ અપનાવે છે.
હાલના સાંપ્રત વાતાવરણમાં કંઇક મેળવવાને બદલે ત્યાગની ભાવના ઉજાગર બને છે એટલે કે વાદ નહિ વિવાદ નહિ પરંતુ સંવાદ દ્વારા સામુહિક સર્વસંમત નિર્ણય કરવામાં આવે છે.
ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ દિન-પ્રતિદિન ખૂબ જ ખર્ચાળ થતી જાય છે અને ગ્રામ્ય જીવનમાં મતભેદોનું વાતાવરણ વધારે છે. આવા સંજોગોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ વ્યાપક સમજૂતીથી બિનહરીફ રીતે અને સર્વસંમતિથી થાય જેથી સ્થાનિક પ્રજા ગામના વિકાસના કામોમાં ઉમંગભેર ભાગ લે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે જરૂરી છે.
બિનહરીફ ચૂંટાય તેવી ગ્રામ પંચાયતોને સને : ૨૦૦૧ અગાઉ અપાતા રૂ. ૧,૦૦૦/- અને રૂ. ૨,૦૦૦/- (તા. ૩/૧૦/૧૯૯૬) ની જગ્યાએ પ્રજાજીવનને સંવાદિ બનાવવાના શુભ આશયથી રાજય સરકારે ઓકટોબર-૨૦૦૧ થી આવી ગ્રામ પંચાયતોને સબળ પ્રોત્સાહન આપવા માટે રૂા. એક લાખ સુધીનું માતબર અનુદાન આપવાનું નકકી કરેલ અને જે ગ્રામ પંચાયતના સરપંચ સહિત તમામ સદસ્યો મહિલા હોય અને બિનહરીફ ચૂંટાય તો તેમને બે ગણું અનુદાન આપવાની આ યોજનાને ખૂબ જ સારો પ્રતિભાવ મળતાં રાજય સરકારે અવાર-નવાર અનુદાનમાં વધારો કરી છેલ્લે તારીખ : ૨૪/૧૧/૨૦૨૧ ના ઠરાવથી પ્રોત્સાહક અનુદાનની રકમમાં વધારો કરેલ છે.